
ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુખસર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત ફૂલહારના બદલે તેમને 12,000 પુસ્તકો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું.
આ અવસરે દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે પોતાના સંબોધનમાં વનબંધુ કલ્યાણ યોજના સહિત આદિવાસી સમાજના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલા નેતૃત્વ સુધી પહોંચાડવાનો ઐતિહાસિક કાર્ય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે શિક્ષણ ક્ષેત્રે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જેવી યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુખસર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ. વરૂ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.
આ સમગ્ર સંમેલન ભાજપની સંગઠન શક્તિના પ્રભાવશાળી પ્રદર્શન તરીકે નોંધાયું હતું, જેમાં કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો.



