દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ રેન્જના આઈ.જી. વિધિ ચૌધરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લાના એસ.પી. રવિરાજસિંહ જાડેજા, ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી તેમજ સુખસર પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મુલાકાત દરમિયાન આઈ.જી. વિધિ ચૌધરીએ અરજદારોના પ્રશ્નોનું ઝડપી અને સંતોષકારક નિરાકરણ લાવવા માટે જરૂરી સલાહ-સૂચનો આપ્યા હતા. અગાઉ કરવામાં આવેલી અરજીઓ અંગે યોગ્ય કાર્યવાહી થઈ છે કે નહીં તેની સમીક્ષા કરવા કુલ12 અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 10 અરજદારો હાજર રહ્યા હતા.
હાજર રહેલા અરજદારો પાસેથી તેમની ફરિયાદો અને પ્રશ્નોની માહિતી મેળવી બાકી રહેલા પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ આવે તે માટે સંબંધિત પોલીસ અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સાથે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને અને જનતાની સમસ્યાઓને પ્રાથમિકતાના આધારે ઉકેલવામાં આવે તે બાબતે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.




