પંકજભાઈ નિનામા છોટાઉદેપુર:
છોટાઉદેપુર જિલ્લાના કદવાળ તાલુકામાં આવેલા ચુલી સ્વામિનારાયણ મંદિર ખાતે સીડેપ (CEDEP) સંસ્થા દ્વારા કારીગર તાલીમ પૂર્ણ કરનાર કારીગરોને સર્ટિફિકેટ વિતરણનો ભવ્ય અને ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કારીગરોને પ્રોત્સાહન આપવા તેમજ તેમની કુશળતાને માન્યતા આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાવીજેતપુર આર્ટ્સ કોલેજના પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે તાલુકા ડેલીકેટેડ પ્રવીણભાઈ બારીયા, એન્જિનિયર હર્ષદભાઈ તળપદા તેમજ સંસ્થાના સ્ટાફ સભ્ય અરવિંદભાઈ વાઘેલા વિશેષ હાજરી આપી હતી. મહેમાનો દ્વારા દીપપ્રજ્વલન કરીને કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દેવગઢ બારીયા તાલુકાના બેના અને કાસટીયા ગામના આશરે સો જેટલા કારીગરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ પૂર્ણ કરનાર તમામ કારીગરોને સીડેપ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) આપી તેમની મહેનત અને નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી. સર્ટિફિકેટ મળતા કારીગરોના ચહેરા પર ખુશીની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન એન્જિનિયર હર્ષદભાઈ તળપદાએ મકાન નિર્માણ ક્ષેત્રમાં નવી ટેકનિક, મજબૂત અને ટકાઉ બાંધકામ પદ્ધતિઓ તેમજ સુરક્ષા નિયમોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય સામગ્રીનો ઉપયોગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કરવાથી મકાન લાંબા સમય સુધી મજબૂત રહે છે અને અકસ્માતોની શક્યતા ઘટે છે.

મુખ્ય મહેમાન પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કારીગરો દેશના વિકાસના મજબૂત આધારસ્તંભ છે. આવા તાલીમ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોના યુવાઓને રોજગારીની નવી તકો મળે છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદ મળે છે.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત કારીગરો માટે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થયો હતો. સ્થાનિક લોકો અને કારીગરોએ સીડેપ સંસ્થાના આ પ્રયાસની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાય તેવી માંગ વ્યક્ત કરી હતી.



