પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં આસપાસના 16 જેટલા ગામોના સરપંચો, આગેવાનો, ગ્રામજનો તેમજ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી. રાઠવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. લોક દરબાર દરમિયાન એસપી સાહેબે નશાના વધતા પ્રભાવ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે દારૂ, ગાંજો અને અન્ય માદક પદાર્થો યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે અને આવા ગુનાઓ સામે પોલીસ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે. ખાસ કરીને ગાંજાની ખેતી કરતા ખેડૂતો સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે અને લાંબી જેલસજાનો સામનો કરવો પડી શકે છે.
તેમણે નાબાલિગ ઉંમરે દીકરા-દીકરી ભાગીને લગ્ન કરવાના બનાવો તેમજ માતા-પિતાએ કાયદેસર ઉંમર પહેલાં લગ્ન કરાવવાના બનાવોને ગંભીર ગુનો ગણાવ્યો હતો. POCSO Act જેવા કાયદા હેઠળ 20 વર્ષ સુધીની જેલસજાની જોગવાઈ હોવાનું જણાવી માતા-પિતાને સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી હતી.
વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને બાઈક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી. લોક દરબાર દરમિયાન ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો કરી હતી, જેને પોલીસે ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળ્યું.




