
દાહોદ જિલ્લાના નવનિર્મિત લીમડી તાલુકાના કારઠ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે ઉજવણી કરાઈહતી. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સંભાળ્યું હતું. ત્રિરંગાને સલામી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી.
આ પ્રસંગે સુરક્ષા જવાનોની પરેડ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વાગત ગીત, રાષ્ટ્રભક્તિ ગીતો, પોલીસ બેન્ડની ધૂન તેમજ આદિવાસી સમુદાયના પરંપરાગત નૃત્યો અને કૃતિઓએ કાર્યક્રમને વિશેષ આકર્ષણ પૂરું પાડ્યું.
કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના પ્રવચનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ તથા બંધારણ ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરી દેશની એકતા અને અખંડિતતામાં સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક વીરોના યોગદાનને યાદ કર્યું. સાથે જ જનજાતિ ગૌરવયાત્રા અને પીએમ જનમન અભિયાન દ્વારા આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં જોડવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. સરકારની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તેમજ પીએમજય યોજના અંતર્ગત લાભાર્થીઓને મળતા લાભોની માહિતી પણ આપવામાં આવી.
આ પ્રસંગે લીમડી તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખ તથા કારઠ ગામના વિકાસ માટે રૂ. 2 લાખના ચેક મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયા.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર સહિત વહીવટી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.



